Archive for January, 2023

બંદિશ એક, રૂપ અનેક (૯૩) :”ज़िंदगी से बड़ी सज़ा ही नहीं “

ભારતના ચોટીનાં  ઉર્દુ શાયરોમાં લખનઉના શ્રી કૃષ્ણ બિહારી નૂર અવલ્લ નંબર પર આવે.

એક તરફ તેમની સુફિયાના અંદાજમાં રચેલી શાયરીઓ તો બીજી બાજુ હિન્દુ દર્શન અને અધ્યાત્મ ની વાત કરતી કવિતાઓ છે. એમની કાવ્ય રચનાઓ ખ્યાતનામ કલાકારો એ કંઠ આપ્યો છે અને સંગીતકારો એ સ્વરબધ્ધ કરેલી છે.

એક સમય એવો હતો જ્યારે ગઝલ રચના ના આધાર સ્તંભ ગણાતા શ્રી નૂર સાહેબ ની હાજરી વિના કોઈ પણ મુશાયરો અધૂરો લાગતો. તેઓ મહેફિલ માં ખીલતા અને બહુ આનંદ અને પ્રેમ પૂર્વક  પોતાની રચનાઓ રજુ કરતા.

લખનઉ વિશ્વવિદ્યાલય માંથી બી. એ. ની ડિગ્રી મળ્યા પછી સરકારની નોકરી માં જોડાયા. પણ તેમનો ભાષાઓ હિન્દી અને ઉર્દુ પ્રત્યે નો શોખ બરકરાર રહ્યો

૧૯૪૭ની સાલ માં તેમના લગ્ન શકુંતલા દેવી સાથે થયાં. અને ત્યાર પછી નું જીવન હર્ષોઉલ્લાસ થી ભરપૂર રહ્યું. શકુંતલાજી કૃષ્ણ બિહારી નાં સહધર્મચારિણી સાથે એક નજીકની દોસ્તી છે તેમ તેઓ કહેતા.

૧૯૮૨માં શાકુંતલાજીનો સ્વર્ગવાસ અને તે પછીના વર્ષમાં નોકરી માંથી નિવૃત્તિ. અહીં સંતાનો નો સહવાસ અને સહકાર ને લીધે તેમની લખવાની પ્રવૃત્તિ સવેગ ચાલુ રહી. ૩૦ મે, ૨૦૦૩. ગાઝીયાબાદમાં એક મુશાયરામાં પોતે ગઝલ પેશ કરી, પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા, તેમણે એક બે મુક્તકો રજુ કર્યાં. અને ફરમાઈશ ઉપર ફરમાઈશ આવતી ગયી. તેઓ એકદમ ચૂપ થઇ ગયા. પ્રેક્ષકો ની માફી માગી. પોતાની ખુરશી પર બેસી ગયા. વહેલી સવારે ગાઝીયાબાદ સરકારી હોસ્પિટલમાં હૃદયરોગ ના હુમલાથી તેમનું અવસાન થયું.

તેમના  પ્રકાશિત થયેલ સંગ્રહ મુખ્ય છે :

दु:ख-सुख (उर्दू),तपस्या (उर्दू), समंदर मेरी तलाश में है (हिंदी),हुसैनियत की छाँव में, तजल्ली-ए-नूर, आज के प्रसिद्ध शायर कृष्ण बिहारी ‘नूर’ (संपादन-कन्हैयालाल नंदन)

– માહિતી શ્રી કનૈયાલાલ નંદન નાં પુસ્તકમાંથી

કવિ શ્રી ક્ર્ષ્ણ બિહારી નૂર ની લોકપ્રિય નઝ્મ પૈકીની એક છે: “ज़िंदगी से बड़ी सज़ा ही नहीं” જે નામી સંગીતકારો એ સ્વરબદ્ધ કરી છે અને ગાયકોએ સ્વર આપ્યો છે. આજની પ્રસ્તુતિ માં આ રચનાઓ સાથે આસ્વાદ પણ માણીએ.

આ રચના નું શબ્દાંકન:

ज़िंदगी से बड़ी सज़ा ही नहीं

और क्या जुर्म है पता ही नहीं II

 

 इतने हिस्सों में बट गया हूँ मैं

मेरे हिस्से में कुछ बचा ही नहीं II

 

 ज़िंदगी मौत तेरी मंज़िल है

दूसरा कोई रस्ता ही नहीं II

 

सच घटे या बढ़े तो सच न रहे

झूट की कोई इंतिहा ही नहीं II

 

ज़िंदगी अब बता कहाँ जाएँ

ज़हर बाज़ार में मिला ही नहीं II

 

जिस के कारन फ़साद होते हैं

उस का कोई अता-पता ही नहीं II

 

कैसे अवतार कैसे पैग़मबर

ऐसा लगता है अब ख़ुदा ही नहीं II

 

चाहे सोने के फ़्रेम में जड़ दो

आईना झूट बोलता ही नहीं II

 

अपनी रचनाओं में वो जिंदा है

‘नूर’ संसार से गया ही नहीं II 

-ક્ર્ષ્ણ બિહારી “નૂર”

આ નવ પંક્તિ મુશાયરામાં કવિશ્રી રજુ કરતા. ગાયકો ચાર કે પાંચ પોતાના કાર્યક્રમમાં ગાતા જોવા મળે છે.

અહીં પ્રસ્તુત છે થોડી ચુનંદા શેર નો આસ્વાદ:

‘નૂર’ તખલ્લુસથી ગઝલો લખતા લખનૌના જાણીતા શાયર કૃષ્ણબિહારીની ઉપરોક્ત ગઝલ આફ્રીન પોકારી ઊઠીએ તેવી છે.

૧૯૨૫માં જન્મેલ આ શાયરની ગઝલોએ, કાશ્મીરથી કન્યાકુમારી અને પંજાબથી બંગાલ સુધીના તમામ મુશાયરાઓ ગાજતા અને ગૂંજતા રાખ્યા છે.. કહેવાય છે કે, ઊર્દૂ ગઝલોની એ રોશની હતા તો હિંદી ગઝલોના આધારસ્તંભ હતા.

પહેલી વાર જ્યારે ‘યુટ્યુબ’ પર તેમના ખાસ અંદાઝમાં ઉપરોક્ત ગઝલ સાંભળી અને ફરીથી ખૂબસૂરત સંગીતકાર  શ્રી સુજાત હુસેનખાંના અવાજમાં સાંભળવા મળી ત્યારે દિલથી સલામ થઈ જ ગઈ. તે પછી તો અનુપ જલોટા અને જગજીત સિંઘ વગેરે ગાયકોએ પણ આ ગઝલ ગાઈ છે.

ટૂંકી બહેરના મત્લાથી થયેલી ચોટદાર શરૂઆત જ ભાવકના દિલમાંથી ‘આહ’ સર્જાવે છે. એ કહે છે કે,

ज़िंदगी से बड़ी सज़ा ही नहीं
और क्या जुर्म है पता ही नहीं

વાહ..જિંદગીની તાસીરનું શું રેખાચિત્ર ઉપસાવ્યું છે!!!

રહસ્યો અને વિસ્મયોથી ભરેલી આલમના વિવિધ રંગોમાં આ શાયરે જિંદગીને સજા ગણાવી! ને પછી તરત જ કહી દીધું કે સજા તો છે પણ કયા ગુનાની એ ખબર જ નથી!  અહીં એક વ્યથિત માનવીને ચિત્રિત કર્યો છે. પણ બીજી જ ક્ષણે જાણે એની વ્યથાને પડદા પાછળ છુપાવીને, બહાર તો એક બેફિકરાઈભરી મસ્તી બતાવી છે. સાથે સાથે એક વ્યંગાત્મક ઈશારો પણ કરી દીધો છે.  ગુના વગરની સજાભરી સ્થિતિ છે  આ તો કેવો ન્યાય છે?!

જિંદગી જ્યારે સજા જેવી આકરી લાગે ત્યારે કવિનું હૃદય વિદારીને કવિતા ફૂટી નીકળે છે, ચિત્રકાર પોતાના રક્તથી એ દર્દની કલ્પનાને ચિત્રીત કરે છે, ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે..કવિ શ્રી અનિલ ચાવડાનો શેર અનાયાસે જ યાદ આવી જાય છે.
“જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે.
મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.”

બીજા શેરમાં ‘નૂર’ એ ભાવને વધુ ઘેરો કરતા કેવા ધારદાર શબ્દો પ્રયોજે છે કે,

इतने हिस्सों में बंट गया हूँ मैं
मेरे हिस्से में कुछ बचा ही नहीं

આમ જોઈએ તો સંસારના આ ચક્રમાં માનવી અનેક જાતના રોલ ભજવે છે. સ્ત્રી હોય કે પુરુષ,  વ્યક્તિ માત્રનું જુદા જુદા રૂપે, સ્વરૂપે વિભાજન થતું જ રહેતું હોય છે. એ રીતે જ જિંદગી આખીયે જીવાઈ જાય છે. ને પછી સંધ્યા સમયે એક તાત્વિક વિચાર જાગી જાય છે કે, ખરેખર  હું કોણ, મેં શું કર્યું? મારા ભાગે શું રહ્યું? આ પ્રકારનો ભાવ મોટેભાગે અસહ્ય બનતાં જીવન ખુદ સજા જેવું લાગે જ લાગે.

ત્રીજો શેર વળી એક નવો વિચાર લઈને આવે છે. શાયર કહે છે કે, માણસમાત્રનો એક સ્વભાવ છે કે, સાચાંખોટાંની પરખમાં મહદ અંશે એ થાપ ખાઈ જાય છે. પણ સત્ય તો સત્ય જ રહે છે ને?  એમાં વધઘટ ન ચાલે. વધઘટ થાય તેને સત્ય ન કહેવાય. એ તો અવિચલ છે, સર્વકાળમાં સ્થિર છે. દુઃખની વાત તો એ છે કે, કસોટી સચ્ચાઈની જ થયા કરે છે, વારંવાર થયાં કરે છે. ઈતિહાસ કહે છે કે, જૂઠની કોઈ પરીક્ષા થતી નથી. સમાજ પરનો વ્યંગ છે આ. ‘બેફામ’ પણ કેવું સાચું જ કહી ગયા છેઃ “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.” આ શાયરને પણ આ જ પ્રશ્ન એટલો બધો મૂંઝવે છે કે ચોથો શેર હૈયાંના ઊંડાણમાંથી સરી પડે છેઃ

चाहे सोने के फ्रेम में जड़ दो
आईना झूठ बोलता ही नहीं.

કોઈ ગમે તેટલા સોના,ચાંદી કે હીરાની ફ્રેઈમમાં જડાવીને રાજી થાય, કશું છુપાવી શક્યાની ઘડીભર મોજ માણી પણ લે. પરંતુ સાચી વાત તો એ છે કે, तोरा मन दर्पन कहलाये. ભીતરના ભાવો ચહેરા પર પથરાયા વગર રહેતા જ નથી.  મનનું દર્પણ ક્યારેય જૂઠું બોલતું નથી. ખૂબ થોડા પણ ધારદાર શબ્દોમાં અહીં કેટલું બધું ઠલવાયું છે? લાઘવ એ સિદ્ધહસ્ત કવિઓની કલા છે, જે અહીં સુપેરે અનુભવાય છે. એટલે જ નૂર સાહેબના એક મિત્ર, નામે મુનવ્વર રાણા; ગૌરવભેર અભિવ્યક્તિ કરતાઃ “આ શાયર લખનૌનું હરતું ફરતું નૂર હતા! એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં લખનૌની સભ્યતા, સંસ્કૃતિ, નઝાકત અને સ્નેહ છવાતો.”

આમ તો આ ગઝલ ૯ થી ૧૦ શેરોની છે પણ અત્રે ચુનંદા શેરો પ્રસ્તૂત છે. અહીં યાદ આવે છે કે કલાકાર અમિતાભ બચ્ચનના અવાજમાં બોલાયેલ નૂર સાહેબની બીજી એક ગઝલનો શેર કે જે ગલીએ ગલીએ ગવાતો, લોકોની જીભે ચડી ગયો હતો. એનો ઉલ્લેખ કર્યા વગર કેમ ચાલે?

‘लफ़्ज़ों के ये नगीने तो निकले कमाल के ग़ज़लों ने ख़ुद पहन लिए ज़ेवर ख़याल के!

ઑર મઝાની વાત તો છેલ્લે  આ ગઝલના મક્તામાં આવે છે. તેમાં કવિ ખુદ કહે છે કે,

अपनी रचनाओं में वो ज़िन्दा है
‘नूर’ संसार से गया ही नहीं .

કેટલી સાચી વાત છે? જાણે ભાવકના મુખે નીકળતા ઉદગાર ન હોય! આવા ઉચ્ચકક્ષાના શાયર તેમની રચનાઓ દ્વારા  સદા અમર જ રહેશે. શાયરને અને તેમની કલામને સો સો સલામ અને નમસ્કાર.

દેવિકા ધ્રુવ (હ્યુસ્ટન)

શરૂઆતમાં શ્રી કૃષ્ણ બિહારીજીને એક મુશાયરામાં સાંભળીયે:

સિતાર નવાઝ સ્વ. શ્રી વિલાયત ખાં ના સુપુત્ર ઉસ્તાદ સુજાત હુસેનખાં, ગઝલ ગાયકી અને સિતાર વાદન માં પારંગત, દેશ – પરદેશ માં સંખ્યાબંધ સંગીત ને લગતા પ્રોજેક્ટ માં જોડાયેલા

સૂર, તાલ ના બાદશાહ ની  એક યાદગાર પ્રસ્તુતિ:

રાજસ્થાન માં વસેલા શ્રી ગંગાનગર માં જન્મેલા, મલ્હાર ઘરાના – ખયાલ, ધ્રુપદ અને ઠુમરી માં માહિર શ્રી જગજીત સિંહ ધીમન :

આ થોડી નાટકીય પ્રસ્તુતિ છે, પાશ્વમાં રીયાઝ કવ્વાલી નું ગાન સંભળાય છે. આ યુવા ગાયકો ની ટીમ “રીયાઝ કવ્વાલ” હ્યુસ્ટન વિશ્વવિદ્યાલય ભણતા વિદ્યાર્થીઓ એ શરૂ કર્યું. થોડા વર્ષો પહેલા એક કાર્યક્રમમાં નરસિંહ મહેતા રચિત, ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવજન” કવ્વાલી રૂપે પેશ કરી પ્રેક્ષકો ની જોરદાર દાદ મેળવેલી. YouTube ઉપર એની મજા આપ પણ માણી શકશો. અહીં સાંભળીયે તેમનાં અવાજમાં આજની બંદિશ:

પાશ્વ ગાયક શ્રી આશિષ શ્રીવાત્સવ

નૈનિતાલ માં જન્મ, લખનઉ ના ભાતખંડે સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય માં શિક્ષણ, પંજાબ નું શામ ચોરાસી ઘરાના,  હવે આપણી આ મહેફિલ માં આવે છે શ્રી અનુપ જલોટા. અનુપજી એ થોડાં વર્ષ અમરેલી જિલ્લામાં આવેલા સવાર કુંડલા માં વિતાવેલા.

ગાયક શ્રી શેખાવત ખાં, સંગતમાં  બાંસુરી પર શ્રી રાજેશ પ્રસન્ના અને તબલા પર શ્રી અર્શદ ખાં:

મથુરા, વૃંદાવન ના એક સમયના નિવાસી કૃષ્ણ પ્રેમી ભજનિક સ્વ. શ્રી વિનોદ અગરવાલ

ગાયક અને સંગીતકાર શ્રી રાજેશ પનવાર

સાલ ૨૦૦૫ ની એક પ્રતિષ્ઠિત સંગીત સ્પર્ધા ના વિજેતા, મુંબઈ નિવાસી શ્રી નાનું ગુર્જર

શ્રી દેબત્રિતા મુખરજી

મુંબઈ સ્થિત શ્રી યુસુફ આઝાદ કવ્વાલ ને સાથીદારો

કર્ણપ્રિય અવાજના માલિક  ડૉ. અનામિકા સિંઘ

સરસ્વતી સંગીત કેન્દ્ર, રુરકી, ઉત્તરાખંડ , નાં ગાયક અને સંગીતકાર શ્રી ધર્મદત્ત સહગલ,

ડો. રાજ પ્રભા પાણીગ્રહી

તેમના સમકાલીન કવિ શ્રી મેરાજ ફૈઝાબાદી  કૃષ્ણ બિહારી “નૂર”ને અંજલિ આપતા કહે છે કે:

“होंठों पर मुस्तक़िल खेलती हुई हँसी, चेहरे पर ऋषियों जैसा सुकून और पवित्रता, आँखों में लम्हा भर चमक  कर बुझ जाने वाले साये-तारीकियों के इस युग में बीती हुई पुरनूर सदियों का सफ़ीर (રાજદૂત),  एक फ़नकार, एक इन्सान, एक फ़कीर…’
एसा था ‘नूर’ लखनवी का व्यक्तित्व ।


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

No Comments »

બંદિશ એક, રૂપ અનેક (૯૨): “अगर है शौक मिलने का, तो हरदम लौ लगता जा”

“कभी-कभी इंसान की मौत इतनी जिंदा हो जाती है कि
उसकी जिंदगी को भी अपनी रोशनी से पुनरुज्जीवित कर देती है।

ફારસી સૂફી ઔલિયા અલ- હલ્લાજ મન્સૂરનું નામ માનવતાના ઇતિહાસ માં બે બાબતો માટે પ્રવેશ્યું છે. એક તેની રુબાયત (ચોપાઈ) અને બીજી તેનું મૃત્યુ.

એવા ઘણા ઔલિયાઓ હશે જેમણે નિર્ભયતાથી “અનલહક” ની ઘોષણા કરી હતી, પરંતુ આ નક્કર સત્ય  માટે તેના શરીરને કાપી નાખનાર એક જ હતો: “મન્સૂર” આ ભયાનક, અમાનવીય મૃત્યુને કારણે, તેનું સૌથી અગત્યનું બયાન “અનલહક” આજે પણ  દશે દિશાઓમાં ગુંજન કરે છે

આદિ શંકરાચાર્યએ પણ “અહમ બ્રહ્માસ્મિ” ના મહાવાક્યની ઘોષણા કરી  ત્યારે સહિષ્ણુ, ઉદાર વિચારધારાવાળા હિંદુ ધર્મે તેમની સરાહના કરી હતી.

મન્સૂર અલ-હલ્લાજનો જન્મ સન ૮૫૭ પર્શિયામાં મુસ્લિમ માતાપિતાને ત્યાં થયો હતો.  તેનો ઉલ્લેખ ફારસી અને તુર્કીના પુસ્તકોમાં જોવા મળે છે. તે અરબી ભાષામાં લખતો હતો.”હલ્લાજ” એટલે ઘેટાનાં શરીર પરથી ઉન ઉતારવાનો ધંધો કરનારા. મન્સૂરના પિતાનો આ વ્યવસાય હતો અને મન્સૂરે પણ આ જ વ્યવસાય અપનાવ્યો હતો. જન્મથી સુન્ની હોવાના કારણે મન્સૂરનું હૃદય ખૂબ જ શુદ્ધ હતું. તે રમઝાનમાં ઉપવાસ રાખતો હતો અને હજ દરમિયાન સંપૂર્ણ મૌન પાળતો હતો જેથી તે પોતાના દિલની અંદરથી અલ્લાહનો અવાજ સાંભળી શકે,

અને તે હતો તેના દિલમાં બેઠેલા અલ્લાહ નો અવાજ “અનલહક”.

જાહેરમાં ધાર્મિક વાર્તાલાપ કરતા કોઈક વિચારથી બોલતા બંધ થઈ અનલહકનું  રટણ શરુ કરી દે. પોતાના મનની વાત જાહેરમાં કહેવાથી પોતે અલ્લાહે આપેલી ફર્જ અદા કરી રહ્યો છે એવું તે દ્રઢપણે માને. “તારા કાબા અને મક્કાને ખત્મ કરી અલ્લાહ ને  પામવા  તારી ભીતરમાં રહેલા અહમ અને નફરતના કચરાને સાફ કરી તે જગાને અઢળક અવિરત પ્રેમ થી ભરી દે. ત્યાં તને તારો ખુદા મળશે;”

મન્સુરે પોતાના ગુરુ જુનૈદ પાસે મન નું સમાધાન કરવા વાત કરી કે “અનલહક” કહેતાં તે પોતાની જાતને રોકી નથી શકતો. જુનૈદે સલાહ આપતાં કહ્યું કે તારી વાત કદાચ સાચી હશે પણ તું  જાહેરમાં ન કહેતો. આ લોકો તને જીવવા નહિ દે.

પણ મંસૂર પોતાની જાતને “અનલહક” ના નારા લગાવતા રોકી શક્યો નહીં. બગદાદ ના ખલીફાએ મંસૂર સામે ફતવો જાહેર કર્યો અને તેને જાહેરમાં મોતને ઘાટ ઉતારવાની સજા  કરી.

મંસૂર નો બેરહમીથી જાહેરમાં ખુલ્લેઆમ  વધ કરવામાં આવ્યો  સુન્ની સંપ્રદાય આ ઘટનાને મન્સૂરની આધ્યાત્મિકતાના અંતિમ શિખર તરીકે જુએ છે. વધસ્તંભે ચડેલા મન્સૂરના મુખમાંથી ગગનભેદી અવાજ નીકળ્યો “અનલહક”. તારીખ હતી ૨૬ માર્ચ ૯૨૨.; પ્રથમ તો મંસૂરને  ગામના ચોરા વચ્ચે બાંધ્યો. ભેગી  થયેલી મેદનીમાં દરેક ને મંસૂર પથ્થર મારવાનો હુકમ થયો.. મંસૂરનું શરીર લોહીલુહાણ થતું ગયું, પણ દરેક પથ્થર વાગતાં તે હસતો અને અનલહક બૂમો પાડતો રહ્યો. તેને જોયું કે પથ્થર મારવાની હરોળમાં જુનૈદ પણ હતો. જુનૈદે પથ્થર ની બદલે મંસૂર પર એક ફૂલ ફેંક્યું. અને એ દરેક પથ્થર વાગતા હસતા મંસૂર ની આંખ ભરાઈ આવી, “અરે આ લોકો તો અજ્ઞાની છે  અને તું તો મને જાણે છે, તું પણ….” વધસ્તંભ પર જડાયેલો મંસૂર અહીં એક વખત રડ્યો.

મંસૂરની હત્યા તેના  શરીરની  બોટી બોટી કાપી ને કરવાં આવી હતી. આ બધા સમય તે હસતો રહ્યો, ” તમે મને નહીં પણ પરમેશ્વરને મારી રહ્યા છો જે મારી અંદર બેઠો છે”. તે બૂમો પાડી કહેતો રહ્યો,  જ્યાં સુધી તેની જીભ નહોતી કપાઈ ત્યાં સુધી અનલહક નું રટણ તેનું ચાલુ હતું.

“અગર હૈ શૌક મિલનાકા તો હરદમ લૌ લગતા જા”. મંસૂર લખેલી રુબાયાં એકઠી  કરી બનેલી અન્ય રચનાઓ પૈકીની એક રચના છે.  જોકે મન્સુરને અરબી/ફારસી સિવાય બીજી ભાષાઓ જાણતો હોય તેવી નોંધ મળતી નથી. તેણે ભારતની યાત્રા કરેલી અને  મનના સમાધાન માટે હિન્દુ ધર્મગુરુઓને મળેલો. કદાચ તે સમયે તેની મૂળ ફારસી રચનાનો હિન્દી મિશ્રિત ઉર્દુ તરજુમો થયો હોય. મન્સુરે સ્વહસ્તે કોઈ પુસ્તક કે કવિતા લખી નથી. તેની રુબાઈના સંગ્રહો બહાર પડ્યા છે. “અગર હૈ શૌક મિલનાકા” એવાં જ એક “તવાસીન” પુસ્તકમાંથી  મળી આવે છે.

શબ્દાંકન અહીં પ્રસ્તુત છે:

अगर है शौक मिलने का, तो हरदम लौ लगता जा,
जला कर खुद्नुमाई को, भसम तन पर लगता जा,

पकड़कर इश्क की झाड़ू, सफा कर हिज्र-ए-दिल को,
दुई की धूल को लेकर, मुसल्ले पर उड़ाता जा।

मुसल्ला छोड़, तस्बी तोड़, किताबें डाल पानी मे,
पकड़ दस्त तू फिरस्तों का, गुलाम उनका कहाता जा,

न भूखा मर, न रख रोज़ा, न जा मस्जिद, न कर सजदा,
वजू का तोड़ दे कुजा, शराब-ए-शौक पीता जा,

हमेशा खा, हमेशा पी, न गफलत से रहो एकदम.
नशे में सैर कर अपनी, ख़ुदी को तू जलाता जा।

न हो मुल्ला, न हो बह्मन, दुई की छोड़कर पूजा,
हुकम है शाह कलंदर का, ‘अनलहक़’ तू कहाता जा,

कहे मंसूर मस्ताना, हक मैंने दिल मे पहचाना,
वही मस्तों का मयखाना, उसी के बीच आता जा…

– मंसूर

लौ : प्यार की ज्योत  ;            खुदनुमाई : अहंकार:          मुसल्लेह : नमाज़ पढ़ने की चटाई.

तस्बीह : माला ;                 अनलहक़: अहम् ब्रह्मास्मि;               हक : प्रभु प्रेम.

शराबशौक : इश्वर्य प्रेम का नशा (चाह);              दुई : द्वैत, दो, भिन्नता.

મન્સૂરની શહાદત પછી તેમની કીર્તિની સુવાસ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સૂફીઓએ તેમના પુસ્તકોમાં મન્સૂરના બલિદાનને સૂફીવાદની સર્વોચ્ચ સિમા- શીર્ષબિંદુ. તરીકે નોંધ્યું છે.

શ્રી ચંદ્ર મોહન જૈન – “રજનીશ” અથવા “ઓશો” નાં  વાર્તાલાપ માં મંસૂર હલ્લાજ ઉલ્લેખ વખતોવખત સાંભળવા મળે છે. રજનીશજી સાથે અન્ય વિદ્વાનો પણ કહેછે કે જો ઈસ્લામ પંથી અને તેના રખેવાળો એ મંસૂર ની વાત અનુસરી હોત તો ધાર્મિક યુદ્ધો ન થાય હોતે અને તેનાં અનુયાયીઓ આટલા ઝનૂની ન હોત.

મંસૂર હલ્લાજ નાં જીવન અને  મરણ વિશે ઓશો નો વાર્તાલાપ સાંભળવા જેવો છે:

સાંભળીયે આ સૂફી સંગીત ની અણમોલ પ્રસ્તુતિ જુદા જુદા કલાકારો ના અંદાજ માં:

સાલ ૨૦૧૨માં “ઉપનિષદ ગંગા”  ચિન્મય મિશન અને ક્રિએશન ના ઉપક્રમે ટીવી સિરીઝ પ્રસ્તુત થયેલી. તેના દિર્ગદર્શક અને લેખક હતા ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી.  ચંદ્રપ્રકાશજીએ આ પહેલાં “ચાણક્ય” બનાવી હતી. આ બંને માં સંગીત શ્રી આશિત અને આલાપ દેસાઈ નું હતું.

પ્રસ્તુત છે. શ્રી આશિત દેસાઈ નાં કંઠે ગવાયેલ, શ્રી આલાપ દેસાઈ ની સંગીત રચના રાગ મિશ્ર ભૈરવી:

“अगर है शौक मिलने का, तो हरदम लौ लगता जा,”

વૃંદાવનના રસિક સંત અને વિખ્યાત ભજનિક  પૂ. નારાયણ સ્વામી

નેધરલેન્ડ – ડચ બેન્ડ   “Agaraga”  ની પ્રસ્તુતિ

અમેરીકન આધ્યાત્મિક વિષય પર ની લેખિકા શ્રીમતી શેરોન જેનિસ “જાનકી”

એક  જુદા અંદાજ કલકતાની પંડિત અજય ચક્રવર્તી સ્કૂલ નાં શ્રી દેવલીના ચક્રવર્તી ની પ્રસ્તુતિ

કબીર રચિત નિર્ગુણ ભજન ના ગાયક  ગાયક પદ્મશ્રી પ્રહલાદસિંહ ટિપણીયા

વનસ્થલી, રાજસ્થાનના પ્રસિદ્ધ ગાયક પંડિત હનુમાન સહાય

ભજનિક શ્રી મૌકત સિંહ યાદવ

જાલંધર શીખ સમુદાયના ગુરુ કીર્તનકાર ભાઈ શ્રી ગુરુમિતસિંહજી

આધ્યાત્મિક ગુરુ ડૉ. રાજેન્દ્રજી મહારાજ નુ પ્રવર્ચન

મુંબઈ સ્થિત પ્રસિદ્ધ ગાયક શ્રી જગદીશ સ્વાદિયા

શ્રી સુરેશસ્વરાનંદજી ના  હરદ્વાર સત્સંગ ની પ્રસ્તુતિ

ઋષિ ચૈતન્ય આશ્રમ, ગન્નુર, સોનીપત, હરિયાણા સ્થિત શ્રી આનંદમૂર્તિ ગુરુમા (મૂળ નામ શ્રી ગુરુપ્રીત કૌર ગોહર) નો વાર્તાલાપ:

પ્રસારણ મુસ્તફા ટીવી, ઢાકા

સૂફી અને સૂફીવાદ: ચડ્યું પૂર મધરાતનું ગાજે ભર સૂનકાર. – નાનાલાલ

સૂફીવાદ : ઈસ્લામ ધર્મનો રહસ્યવાદી પંથ. ‘સૂફી’ શબ્દને વિદ્વાનોએ જુદી જુદી રીતે સમજાવ્યો છે; પરંતુ તેની મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સૂફ’ એટલે ‘ઊન’ પરથી ઊનનાં કપડાં પહેરનારા સાધકો. બીજી મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સફા’ એટલે ‘પવિત્રતા’ પરથી ખુદાનો પ્રેમ મેળવવા આવશ્યક એવી પવિત્રતાવાળા સાધકો. સૂફીસાધકો ખુદાના ઇશ્ક(પ્રેમ)માં મગ્ન રહેનારા, સાંસારિક પ્રલોભનોથી દૂર રહેનારા, જન્નત(સ્વર્ગ)માં નહીં માનનારા, ખુદાની સાથે એક બની જવા તમામ સાધનાઓ કરવા તૈયાર, ઇશ્કને ખુદાને હાંસલ કરવાનું સર્વોચ્ચ સાધન માનનારા અને વૈરાગ્યભાવનાથી સંસારનો ત્યાગ કરનારા છે.

સૂફીવાદના પ્રથમ પ્રવર્તક પ્રથમ મતે આદમ, બીજા મતે મહંમદ પયગંબર અને ત્રીજા મતે ચોથા ખલીફા અલી હતા. કટ્ટર ઇસ્લામ-ધર્મીઓ સૂફીવાદને ઇસ્લામથી વિરુદ્ધ માની તેની નિંદા કરે છે, કારણ કે સૂફીવાદની કેટલીક માન્યતાઓ અલગ છે. નમાજ, રોજા, હજ વગેરે ધાર્મિક આચારોને કટ્ટર ઈસ્લામ આવશ્યક માને છે, જ્યારે સૂફીવાદ આવા આચારોને બદલે સફા (પવિત્રતા) અને આંતરિક યાત્રા (સફર) પર વધુ ભાર મૂકે છે. ‘કુરાન’નો અલ્લાહ બધી વસ્તુઓથી ચઢિયાતો, ઇન્સાનથી અલગ અને સર્વસત્તાધીશ છે. સૂફીવાદનો અલ્લાહ બધી વસ્તુઓ અને ઇન્સાનમાં રહેલો એટલે સર્વવ્યાપી છે. વળી ‘કુરાન’નો અલ્લાહ ખુદા અને રૂહ(આત્મા)ને એક જ માનતો નથી; સૂફીવાદ ખુદા અને રૂહને એક જ માને છે. તેથી તેમનો સિદ્ધાન્ત ‘અનલહક’ (હું ખુદા છું) એવો છે. સૂફીવાદ ખુદાને ઇશ્કથી હાંસલ કરી શકાય એમ માને છે.

આઠમી સદીમાં થયેલા અબુદર્દા, ઉસમાન બિન માજુન, ઇબ્રાહીમ, બિન આદમ તથા રાબિયા જેવા પ્રાચીન સૂફીવાદીઓ ઇશ્ક, દેહદમન, સંસાર તરફ વિરક્તિ તથા નિવૃત્તિ પર ખૂબ ભાર મૂકતા હતા. એ પછી માસફુલ, અબુ સુલેમાન, જુન્નુન, યજિદુલ્લ બિસ્તાની વગેરે નવમી સદીના સૂફીઓએ ‘અનલહક’ના સિદ્ધાન્તની ઉચ્ચ ભૂમિકા સૂફીવાદને આપી. ઈ. સ. ૯૨૨ માં મનસૂર નામના સૂફીએ ‘અનલહક’નો જોરદાર પ્રચાર કર્યો તેથી કટ્ટર ઇસ્લામીઓએ તેમને કાફિર ઠરાવી બગદાદના ખલીફા પાસે મોતની સજા અપાવી. 11મી સદીમાં બગદાદના નિઝામિયા મદરેસાના શિક્ષક અને અનેક ગ્રંથોના લેખક સૂફી અબુ હામીદ ગજાલીએ તૌહિદ(એકેશ્વરવાદ)ની સાથે તવક્કુલ (અનન્યશરણતા) અને કલ્બ(હૃદય)માંથી નીકળતી ખરી બંદગી (પ્રાર્થના) પર ખૂબ ભાર મૂક્યો. ત્યારબાદ સૂફીવાદ અન્ય સૂફીઓને હાથે જુદા જુદા સમયે ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં થઈ છેક ભારત સુધી વિકસ્યો. નવો સિદ્ધાન્ત કે સાધનામાર્ગ રજૂ કરનાર સૂફી-સંતના નામે તેના અલગ સંપ્રદાય અને તે જ સંપ્રદાયના ઘણા ઉપસંપ્રદાયો ખડા થતા ગયા. સર્વપ્રથમ સઘળા સૂફીઓ સિદ્ધાન્તના આધારે બુજૂદિયા અને શુહૂદિયા નામના બે પ્રમુખ સંપ્રદાયોમાં વહેંચાયા. મુહિઉદ્દીન ઇબ્નુલ અરબીએ બહદતુશ્શુબુજૂદનો સિદ્ધાન્ત રજૂ કર્યો. તેમાં હમાવુસ્ત એટલે તમામ ચીજો એકમાત્ર ખુદા છે, આખું જગત ખુદાની જ અભિવ્યક્તિ છે, ઇન્સાન ખુદાનો સિર્ર (ચેતન અંશ) છે, ઇન્સાન પોતાના મર્યાદિત જ્ઞાનથી સિર્રને પ્રગટ કરી શકે છે તેથી રૂહ (આત્મા) સત્ય છે, છતાં તે એકમાત્ર સત્ય નથી, ખુદા જ એકમાત્ર સત્ય છે એવી પાયાની વાતો રજૂ થઈ છે. બીજો સિદ્ધાન્ત બહદતુશ્શુહૂદ શેખ કરીમે જીલીએ રજૂ કર્યો. તે મુજબ સિર્રની સત્તા શૂન્ય જેવી છે, કારણ કે સિર્રને પોતાની સત્તા માટે ખુદાની સત્તાની અપેક્ષા રાખવી પડે છે. જગત ખુદાની ગુણાવલીનો સમૂહ છે. સિફ્ત (ખુદાના જુદા જુદા ગુણો) જાહેર (જાહિર = અભિવ્યક્ત) થાય એટલે તેમનાં નામો અપાય છે. એ બધાં નામો અરીસાની જેમ ખુદાનાં બધાં રહસ્યોને જાહેર કરે છે. જગતના પ્રત્યેક અણુમાં પોતાની પૂર્ણતા જાહેર કરે છે. જગતના સઘળા પદાર્થો બરફ જેવા છે અને ખુદા પાણીની જેમ મૂળ કારણ છે. અનહદ સુંદરતા અને વિભૂતિ ધરાવતો ખુદા જ્યારે પોતાની સુંદરતાનો અંશ જાહેર કરવા ઇચ્છે ત્યારે જગતની રચના થાય છે. તે જગતની રચના ખુદાની સુંદરતાને સમજવામાં મદદ કરે છે. આ બે સિદ્ધાન્તોને વિચારતાં તેના પર પ્રાચીન ભારતીય ઉપનિષદોની અસર પડી હોય તેમ જણાય છે. ભારતીય અસર સૂફીવાદ પર હોય કે ન હોય; પરંતુ અરબી સૂફીવાદની અસર ભારતમાં ઠેર ઠેર જણાય છે.

હાલ ભારતમાં સૂફીના ચાર મુખ્ય સંપ્રદાયો પ્રચલિત છે : ચિશ્તી, કાદિરી, સુહરાવર્દી અને નક્શબંદી. જ્યારે ઉપસંપ્રદાયોમાં નિઝામી, સાબિરી, બહતુલશાહી, નવશાહી, મુકીમશાહી, કૈસરશાહી, જલાલી, મખદૂમી, મીરનશાહી, દૌલાશાહી વગેરેનો સમાવેશ થાય છે. અરબસ્તાન વગેરે દેશોમાં તો આથી વધુ સંપ્રદાયો પ્રચલિત છે. અનેક સૂફીસંતો કે પીરોએ સૂફીવાદના સિદ્ધાન્તોમાં ફાળો આપ્યો છે.

શ્રી ધર્મિષ્ઠા ગોહિલ અને શ્રી  પ્ર. ઉ. શાસ્ત્રી (ગુજરાતી વિશ્વકોષ માંથી સાદર)

અંતમાં જોઈએ “મેરા મુર્શીદ ખેલે હોરી” – સૂફી કથ્થક

સંગીત રચના શંકર અહેસાન રોય, ગાયકો મુનવર માસુમ. જાવેદ અલી અને શંકર મહાદેવન

ડો. શશી શૃંખલા અને તેની નૃત્ય શાળા ની પ્રસ્તુતિ


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

No Comments »

બંદિશ એક, રૂપ અનેક (૯૫): ઠૂમરી “आन मिलो सजना”

webgurjari.com/2023/01/21/one-composition-seversal-forms_95/

No Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.